બળદગાડામાં ડિલીવરી: ગારીયાધારના પચ્છેગામની મહિલાની પરોઢિયે એમ્બુલન્સની ફોક્સ લાઈટની મદદથી બળદગાડામાં જ ડિલીવરી કરાવી..

  • 5:36 pm March 21, 2023

 

ગુજરાત સરકારના માતા અને બાળ મરણ દર ઘટાડવાના ધ્યેયને ધ્યાનમાં રાખી ભાવનગર ૧૦૮ની ટીમ ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે. ગુજરાત સરકાર અને  E M R I GHS સંચાલિત ૧૦૮ ઈમરજન્સી સેવા સમગ્ર રાજ્યમાં અનેક વખત લોકોના જીવ બચાવી દેવદૂત સાબિત થઈ છે ત્યારે આ ઈમરજન્સી સેવાએ આજે ફરી એક વખત ગારીયાધારના પચ્છેગામની મહિલા માટે તથા બાળકનો જીવ બચાવી તેઓના પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે.

મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાની ગારીયાધારના પચ્છેગામ પાડી વિસ્તારનો કેસ સવારે પાંચ વાગ્યામાં આવતા ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચેલ દર્દી વાડી વિસ્તારમાં રહેતા હતા તેમજ વરસાદી વાતાવરણ હોઇ દર્દી શારદાબેન રમેશભાઈ બળદગાડામાં બેસીને સામે આવતા હતા ત્યાં અચાનક પ્રસૂતિની પીડા થતાં ૧૦૮ ના ઈ.એમ.ટી. ડાભી અજયભાઈ અને પાયલોટ  ગોહિલ ચેતનસિંહે સામે  સૂચકતા રાખી સમગ્ર પરિસ્થિતની ગંભીરતા ધ્યાને લઈ એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી. એ ઉપરી અધિકારીઓનો ટેલીફોનિક સંપર્ક કરી માર્ગદર્શન મેળવ્યું હતું અને રોડ પર જ એમ્બુલન્સની સાઇડની ફોક્સ લાઈટ શરૂ કરીને બળદગાડામાં જ ડિલીવરી કરાવી હતી.

ડિલીવરી બાદ દર્દીને ચક્કર-ધૂજારી હોવાથી ઇ.એમ.ટી.  અજય ભાઈએ તાત્કાલીક હેડ ઓફિસ પર રહેલ ડોક્ટરની સલાહ લઈને ઓકસીજન, ઇન્જેક્શન, પ્રવાહિ બોટલ વગેરે સારવાર શરૂ કરી સરકારી હોસ્પીટલ ગારીયાધાર લઈ જવામાં આવ્યા હતા આમ, માતા તથા બાળકનો જીવ બચાવીને દેવદૂત સાબિત થઈ હતી. ૧૦૮ની ટીમની સરાહનીય કામગીરી બદલ દર્દીના સગાવ્હાલા તથા ખેડૂતભાઈ એ ૧૦૮ની ટીમનો આભાર માનેલ હતો.