વિશ્વ પર્યાવરણ દિવસની આગોતરી ઉજવણીના ભાગરૂપે રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
- 10:50 pm June 4, 2023
ભરૂચ,
ચાર વર્ષથી હાથ ધરાયેલ પ્રોજેક્ટમાં હાલ સુધીમાં 20,000 થી વધુ વૃક્ષો ઉછરી રહ્યા છે
આ વર્ષે 5000 થી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક
નિવાસી નાયબ કલકટરની વિશેષ ઉપસ્થિતિ
ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા આજે રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસની આગોતરી ઉજવણી કરવામાં આવી. ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારીના ભાગરૂપે વર્ષ 2019 માં ગડખોલ પાટિયા સામ્રાજ્ય સોસાયટી થી ગોલ્ડન બ્રિજ સુધી રેલવે ટ્રેક અને જુના નેશનલ હાઇવે નંબર 8 ની વચ્ચે 4.5 કિમીના વિસ્તારમાં રેવા અરણ્ય નામે ઘનિષ્ઠ જંગલ ઉભુ કરવામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં ખાસ કરીને પક્ષીઓ આકર્ષાય તે માટે પક્ષીઓનું આશ્રયસ્થાન બનાવવા તેઓને અનુરૂપ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને તેની જાળવણી શરૂ કરાઇ. આજે 4 વર્ષના સમયગાળામાં આ વિસ્તાર માં 20,000 થી વધુ વૃક્ષો ઉછરી રહ્યા છે. ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ અને વિવિધ સહયોગી સંસ્થાઓએ મળી ઉદ્યોગો પાસે સી.એસ.આર. એક્ટિવિટી અંતર્ગત આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. અને અહી વૃક્ષો 98 ટકા જેટલા ટકી રહ્યા છે.
આજરોજ પર્યાવરણ દિવસની આગોતરી ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં નિવાસી નાયબ કલેકટર ધાંધાલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટના માર્ગદર્શક નીતિન ભટ્ટ અને મોહમ્મદ જગદીવાલે પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી. આજનો કાર્યક્રમ પર્યાવરણ પ્રેમીઓ માટે એક માર્ગદર્શક કાર્યક્રમ બની રહ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ઉપસ્થિતોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવાની પ્રતિજ્ઞા કરી હતી... આ કાર્યક્રમમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોષી, ઉદ્યોગ અગ્રણીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ, બાઇસિકલ ક્લબના સભ્યો, તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.