મેલેરિયા વિરોધી જૂન માસ ઉજવણી અંતર્ગત વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં સઘન કામગીરી શરૂ કરાઇ

  • 9:45 pm June 5, 2023
રાજેશ પરીખ

 

અમદાવાદ

વિરમગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં મેલેરિયા વિરોધી જૂન માસની ઉજવણી કરવામાં આવી રહી છે અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા સઘન સર્વિલન્સ, પોરાનાશક કામગીરી સહિત લોકોમાં મેલેરિયા રોગ અંગે જનજાગૃતિ કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે અલીગઢની વાવ ખાતે પોરાભક્ષક માછલી ઉછેર કેન્દ્રની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારે મુલાકાત લીધી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બારેમાસ પાણી ભરાઈ રહેતું હોય તેવા અનેક સ્થાનો પર વિરમગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં પોરાભક્ષક માછલી મૂકવામાં આવી છે.

અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર જણાવ્યું હતું કે, વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જીલ્લાના વિવિધ તાલુકાઓમાં મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર અમદાવાદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ એક્ટિવિટીઝ દ્વારા મેલેરીયા અંગે જનજાગૃતિ કરવામાં આવી રહી છે. ઉલટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.