સુરતમાં વીઆર મોલ ખાતે ગ્રીન ટીક અભિયાનનો પ્રારંભ કરાવતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી

  • 10:03 pm June 5, 2023

 

 

સુરત,

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુરત અને માય એફએમ સુરત દ્વારાગ્રીન ટીક અભિયાન શરૂ કરાયું

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુરતની ટીમ દ્વારા નુક્કડ નાટક ભજવી પર્યાવરણ જાગૃતિ માટે સંદેશ આપ્યો

પર્યાવરણનું જતન કરવી આપણી નૈતિક ફરજ છેઃ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ

૫મી જુન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે શહેરના વીઆરમોલ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુરત અને MY FM સુરતની ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલા ગ્રીન ટીક અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગ્રીન ટીક અભિયાન હેઠળ પર્યાવરણના રક્ષણ માટે જે સોસાયટીઓ પ્લાસ્ટીક વેસ્ટ ભેગો કરીને વિશે માય એફ.એમ તથા જીપીસીબીને જણાવશે તો તેઓ ટીમ સાથે કચરાનું કલેકશન કરશે અને જે તે સોસાયટીને ગ્રીન ટીક સાથે ઈનામ આપવામાં આવશે. જેથી વધુને વધુ સોસાયટીઓ આ અભિયાનમાં જોડાવાનો અનુરોધ કરાયો હતો.  

પર્યાવરણનું જતન કરવી આપણી નૈતિક ફરજ છે એમ કહેતા રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે,રાજસ્થાનમાં દિકરીનો જન્મ થતાં જ એક વૃક્ષ રોપવાનો રિવાજ છે, એવી જ રીતે આપણે પણ ગુજરાતમાં દીકરી કે દિકરાના જન્મ સમયે એક વૃક્ષ રોપવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. વૃક્ષનું જતન કરીશું તો જ પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળશે. ભારતમાં આપણું રાજયએ સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતું રાજ્ય છે. જેને લઇ દરિયા કિનારાઓમાં મેન્ગોવ, પરવાળાના ખડકો, સમુદ્રી ઘાસને અનુકુળ વાતાવરણ મળ્યું છે.  જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દરિયા કિનારે મેન્ગોવ વૃક્ષોનું જતન કરવા માટે આહવાન કર્યું છે. 

વધુમાં રાજ્યમંત્રી જણાવ્યું કે,મેન્ગૃવના વૃક્ષો દરિયાઈ ભરતી ઓટ તેમજ ભારે સમુદ્રી તોફાનો તથા જોશીલા જળપ્રવાહોથી દરિયા કિનારાનું ધોવાણ થતા અટકાવે છે. સમુદ્રી કિનારાના વિસ્તારો અને આંતર ભરતી દરિયાઈ વિસ્તારોમાં મેન્ગૃવ સૌથી મહત્વના કાર્બન સિન્ક્સ (કાર્બન શોષક) પૈકીના એક છે. ઈકો ફ્રેન્ડલી સિસ્ટમ ઊભી થાય છે અને પોલ્યુશનનું પ્રમાણ પણ ઘટે છે. મેન્ગોવ પ્લાન્ટેશન કરવાથી અદાજીત ૨૫૦ થી ૩૦૦ જેટલા લોકોને રોજગારી આપી શકાય છે. દરિયા કિનારાના વિસ્તારોમાં વસતા માનવ સમુદાયો માટે બિન ઇમારતી વન પેદાશો જેવી કે, બળતણ માટે લાકડા, મધ, ગુંદર, ઘાસચારાની વ્યવસ્થા થાય છે. 

આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુરતની ટીમ દ્વારા પર્યાવરણ બચાવોનો સંદેશ આપતું નુક્કડ નાટક ભજવવામાં આવ્યું હતું.  આ પ્રસંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાસાબેન ઓઝા, સામાજિક અગ્રણી ગિરીશભાઈ લૂથરા, જીપીસીબીના અધિકારી,માય એફ સુરતની ટીમ અને અગ્રણીઓ સહિત પ્રજાજનો ઉપસ્થિત રહી હતી.