ખરીફ પાકોના બિયારણની ખરીદી અંગેની માર્ગદર્શીકા જાહેર કરાઇ

  • 7:02 pm June 7, 2023

 

 

મોરબી,

યારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી નહીં કરવા ખેડૂતોને અનુરોધ

મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરવા ઇચ્છુક ખેડૂતો એ બિયારણની ખરીદી વખતે ખાસ કાળજી લેવી. ખેડુતો એ માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવા નાયબ ખેતી નિયામક  એ ખેડૂતોને અનુરોધ કર્યો છે.

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી નહીં કરવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.

ઉપરાંત કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે તેમ મોરબી જિલ્લાના નાયબ ખેતી નિયામક કે. જી. પરસાણીયાની યાદીમાં જણાવાયું  છે.