સફાઇ કામદાર / શ્રમજીવી / વ્યક્તિને ભૂગર્ભ ગટર / ખાળકૂવા / સેફ્ટીટેન્ક કે એવી કોઈ જગ્યાએ સફાઇ કરાવવા કે ઊંડે ઉતારવા પર પ્રતિબંધ

  • 7:13 pm June 7, 2023

 

 

મોરબી,

કેન્દ્ર સરકાર દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા સંદર્ભે ‘‘ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-૨૦૧૩નો અમલ તા. ૧૯/૦૯/૨૦૧૩ તથા તે હેઠળ બનેલ નિયમનો તા.૧૨/૧૨/૨૦૧૩થી સમગ્ર દેશમાં કરવામાં આવેલ છે. આ કડક કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ સફાઇ કામદાર / શ્રમજીવી / વ્યક્તિને ભૂગર્ભ ગટર / ખાળકૂવા / સેફ્ટીટેન્ક કે એવી કોઈ જગ્યાએ સફાઇ કરાવવા, ઊંડે ઉતારવા પર પ્રતિબંધ ફરમાવી, ગેસ ગળતરને કારણે કામદારોના સંભવિત મૃત્યુની દુર્ઘટના સંપૂર્ણ રીતે અટકાવવાનો છે.

આથી મોરબી જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ તમામ ખાનગી મિલ્કત / સોસાયટીઓ / ફલેટો / રહેણાંક વસાહતો / હોટલો / રેસ્ટોરન્ટ / હોસ્પીટલો / પેઢીઓ / કારખાનાઓ / સંસ્થાઓ / ધર્મશાળાઓ / ગેસ્ટ હાઉસો / સમાજવાડીઓ / ધાર્મિક મંદિરો / શાળા / કોલેજો / હોસ્ટેલો વગેરેની અંદર કે આજુબાજુમાં આવેલ ભૂગર્ભ ગટર / ખાળકુવા / સેફટી ટેન્ક / જમા થયેલ ગંદુપાણી / કાદવ વગેરે બહાર કાઢવા માટે કે બંધ થયેલ લાઈન સાફ કે ચાલુ કરવા માટે ક્યારેય કોઈપણ સફાઇ કામદાર / શ્રમજીવી / વ્યક્તિને ભૂગર્ભ ગટર / ખાળકૂવા / સેફ્ટીટેન્ક કે એવી કોઈ જગ્યાએ સફાઇ કરાવવા ઊંડે ઉતારવાના રહેશે નહિ કે તે માટે કોઈ ફરજ પાડી શકશે નહી.

આ અધિનીયમની જોગવાઈ અનુસાર આ પ્રકારે કોઈપણ ઈસમનું દુર્ઘટનામાં મૃત્યુ થયેથી જવાબદાર સામે ગેરકાયદેસર કૃત્ય બદલ ફોજદારી રાહે પગલા ભરવાની જોગવાઈ ઉપરાંત નામ.સુપ્રિમ કોર્ટના રીટ પિટિશન નં. ૫૮૩/૨૦૦૩ના તા.૨૭/૩/૨૦૧૪ના ચુકાદાથી આપેલ આદેશ અનુસાર રૂ.૧૦.૦૦ લાખનું ભોગ બનનારને વળતર / દંડ ભરવા કસૂરવાર થશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા વિંનતી છે. કાનૂની ફરજ ઉપરાંત માનવતાની દ્રષ્ટ્રીએ પણ આ જોખમી કામગીરી અપરાધ હોવાથી આપણે સૌ સાથે મળી ગેસ ગળતરથી થતાં અકાળે મૃત્યુને સંપૂર્ણપણે અટકાવીએ તેવું  જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની યાદીમાં જણાવાયું છે.