દિવ્યાંકા ત્રિપાઠીએ 'બડે અચ્છે લગતે હૈ ૨'માં કામ કરવાની ના પાડી

  • 4:42 pm July 31, 2021

એકતા કપૂરે તેના આઈકોનિક શો 'બડે અચ્છે લગતે હૈ'ની બીજી સીઝન લાવવાની તૈયારી કરી રહી છે. અગાઉ ઘણા રિપોટ્‌ર્સમાં તેવું કહેવાયું હતું કે દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલની જાેડી 'બડે અચ્છે લગતે હૈ ૨'માં ફરી સાથે જાેવા મળશે. બાદમાં, તેવી ચર્ચા હતી કે કરણ પટેલ નહીં પરંતુ ઈશ્કબાઝ એક્ટર નકુલ મહેતા દિવ્યાંકા ત્રિપાઠીની ઓપોઝિટમાં લીડ રોલ નિભાવશે. રિપોટ્‌ર્સ પ્રમાણે, દિવ્યાંકાનું નામ લગભગ ફાઈનલ જ થઈ ગયું હતું પરંતુ એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ સેશનમાં તેણે ખુલાસો કર્યો, તે સીરિયલ કરી રહી નથી. દિવ્યાંકા અને તેના પતિ વિવેક દહીયાએ ફેન્સ સાથે લાઈવ સેશન કર્યું હતું. જેમાં તેમના જીવન, હાલની રોડ ટ્રિપ તેમજ 'ખતરો કે ખિલાડી ૧૧'માં પર્ફોર્મન્સ વિશે વાત કરી હતી.

સેશન દરમિયાન દિવ્યાંકા ત્રિપાઠીએ જણાવ્યું, 'હા, મને 'બડે અચ્છે લગતે હૈ ૨'ની ઓફર મળી હતી અને મેં તેના માટે લૂક ટેસ્ટ પણ આપ્યો હતો. પરંતુ મેં શો માટે એટલે હા ન પાડી કારણ કે પાત્ર સાથે રિલેટ કરી શકતી નહોતી. જ્યારે પણ હું કોઈ પ્રોજેક્ટ લઉ છું ત્યારે મારી જાતને તેમાં સમર્પિત કરી દઉ છું અને તે પાત્ર સાથે લગ્ન કરવા જેવું લાગે છે અને જાે હું રોલ સાથે રિલેટ નહીં કરું તો તેના માટે હા પાડીશ નહીં. હું પાત્રને અનુભવી શકતી નહોતી અને તેથી મેં 'બડે અચ્છે લગતે હૈ ૨'ને ના પાડી દીધી'.

લાઈવ સેશન દરમિયાન એક ફેને તેને મહોબ્બતેના કો-સ્ટાર કરણ પટેલ સાથે ફરી કામ કરવાનું ગમશે કે કેમ તેવો સવાલ કર્યો હતો. જેના જવાબમાં તેણે કહ્યું 'હા, કેમ નહીં? મને તેની સાથે કામ કરવાનું ગમશે. તે ટેલેન્ટેડ એક્ટર છે અને અમારી કેમેસ્ટ્રી સારી છે. જ્યારે અમે સાથે કામ કરીએ ત્યારે કેમેસ્ટ્રી ઓર્ગેનિક હોવાનું દેખાઈ આવે છે. પરંતુ મન ખબર નથી કે ક્યારે તે શક્ય બનશે?'.

'બડે અચ્છે લગતે હૈ'માં રામ કપૂર અને સાક્ષી તન્વર લીડ રોલમાં હતા. આ શો ૩૦ મે ૨૦૧૧થી ૧૦ જુલાઈ ૨૦૧૪ સુધી ચાલ્યો હતો. શો ઈમ્તિયાઝ પટેલના ગુજરાતી નાટક 'પટરાણી' પર આધારિત હતો.

દિવ્યાંકા ત્રિપાઠી હાલ સ્ટંટ રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી ૧૧'માં જાેવા મળી રહી છે. જેમાં તે ખતરનાક સ્ટંટ કરતી દેખાઈ રહી છે.