જે પ્રકરણોને બાકાત રાખવામાં આવશે તેમાંથી બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવશે નહીં

  • 4:28 pm August 18, 2021

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ આ વર્ષે પણ ઘટાડવામાં આવેલા અભ્યાસક્રમ સાથે અભ્યાસ કરશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કોવિડ -૧૯ મહામારીને કારણે આ વર્ષે પણ ધો.૧૦ ના ૯ લાખ અને ધો.૧૨ના ૭ લાખ વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ ૩૦ ટકા જેટલો કાપવાની યોજના બનાવી રહ્યું છે, તેમ આ મામલે જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આ ર્નિણય સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશનની ગત મહિને પોતાના અભ્યાસક્રમમાં ૩૦% ઘટાડો કરવાની જાહેરાતના આધારે કરવામાં આવી રહ્યો છે.

જીએસએચએસઇબી દ્વારા આ બાબતની તપાસ કરવા અને તેના તારણો રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. “સમિતિ વિવિધ પાસાઓને ધ્યાનમાં લીધા બાદ અભ્યાસક્રમમાં ૩૦% કાપની ભલામણ કરશે, ખાસ કરીને આગળના અભ્યાસમાં સાતત્ય પરિબળને ધ્યાને રાખીને આ ભલામણ કરવામાં આવશે. સિલેબસ કેટલી હદ સુધી કાપવાનો છે તે અંગે અંતિમ ર્નિણય સરકાર લેશે.” તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.

અભ્યાસક્રમ ફક્ત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે જ સુધારવામાં આવશે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માટે જીએસએચએસઇબી દ્વારા બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે ત્યારે અભ્યાસક્રમમાંથી બાકાત કરાયેલા પ્રકરણોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે નહીં. તેવી જ રીતે, સમિતિ સુનિશ્ચિત કરશે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વના પ્રકરણોને બાકાત રાખવામાં ન આવે. સતત બીજા વર્ષે ટૂંકો અભ્યાસક્રમ લાગુ કરવાનો ર્નિણય લેવા ઉપરાંત, જીએસએચએસઇબી તમામ શાળાઓ માટે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માટે ટર્મ વાઈઝ અભ્યાસક્રમ પણ બહાર પાડવામાં આવશે.

આ મામલે વધુ માહિતી માટે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જાેકે તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો. મહત્વનું છે કે સપ્ટેમ્બર ૨૦૨૦ માં રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે કોવિડ -૧૯ ની પરિસ્થિતિ વચ્ચે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ ૩૦% ઘટાડવાની જાહેરાત કરી હતી કારણ કે વિદ્યાર્થીઓ ઓનલાઇન મોડ દ્વારા શીખી રહ્યા હતા. આ વર્ષે પણ મહામારીની સ્થિતિ જાેતા શૈક્ષણિક વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે અને શાળાઓ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવી રહી છે. સરકારે જુલાઇ મહિનાથી ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડમાં ૫૦ ટકા હાજરી સાથે શાળાઓ ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી.