કેન્દ્રીય મંત્રી જેડીયુના આર.સી.પી. સિંહનો ભાજપ તરફ વધતો ઝુકાવ

  • 4:31 pm May 26, 2022

બિહારમાં રાજકીય ભૂકંપના એંધાણ

એનડીએ સરકારમાં જેડીયુ ક્વોટામાંથી આરસીપીને એકલાને જ કેન્દ્રીય મંત્રી બનાવાયા ત્યારથી નીતીશ કુમાર અને આરસીપી સિંહ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી

કેન્દ્રીય મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહ ઉર્ફે આરસીપી સિંહના રાજ્યસભામાં જવા અંગેની અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે નોકરશાહમાંથી રાજનેતા બનેલા આરસીપી સિંહે પોતાના ટિ્‌વટર હેન્ડલ પરના બાયોમાં પોતાને મંત્રી, રાજ્યસભા સાંસદ, આઈએએસ, આઈઆરએસ ઉપરાંત જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ગણાવ્યા છે. ઉપરાંત તેમના ટિ્‌વટર હેન્ડલમાંથી મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહની તસવીરો પણ ગાયબ છે. આરસીપી સિંહના ટિ્‌વટર બેનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વિશાળ તસવીર છે જેમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' એમ લખેલું છે.  ઉલ્લેખનીય છે કે, આરસીપી સિંહનો બીજાે કાર્યકાળ આગામી ૭ જુલાઈના રોજ સમાપ્ત થવાનો છે. ઉચ્ચ સદનમાં જદયુની એકલ સીટ માટે નવા નામાંકન માટે પાર્ટી ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની એક બેઠક યોજાઈ હતી. 

 

એક અહેવાલ પ્રમાણે ગત વર્ષે ૭ જુલાઈના રોજ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં જેડીયુ ક્વોટામાંથી આરસીપીને એકલાને જ કેન્દ્રીય મંત્રી બનાવાયા ત્યારથી નીતીશ કુમાર અને આરસીપી સિંહ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી. પટનાના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, કેન્દ્રીય સ્ટીલ મંત્રી બન્યા બાદ આરસીપીનો ભાજપ તરફનો ઝુકાવ વધ્યો છે.  

ઉલ્લેખનીય છે કે, બિહારના ૫ રાજ્યસભા સદસ્યોનો કાર્યકાળ આગામી જુલાઈ મહિનામાં સમાપ્ત થઈ રહ્યો છે. તેવામાં મંગળવારથી રાજ્યસભા માટેના નામાંકનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. 

આ તરફ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્ય સ્તરે જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો દૃઢ નિર્ધાર કરી લીધો છે. નીતીશ કુમાર જાણે છે કે, જાે આ મુદ્દે ભાજપ પાછીપાની કરશે તો તેમને તેજસ્વીનો સાથ મળી જશે.  ભાજપના સમર્થનથી બિહારના મુખ્યમંત્રી બનવા છતાં નીતીશ કુમાર જાતિગત વસ્તી ગણતરી મુદ્દે અડગ છે તેના પાછળનો ઉદ્દેશ્ય ભાજપના ઓબીસી રાજકારણને કાઉન્ટર કરવાનો પ્લાન છે.