ઉપરવાસમાં ભારે વરસાદ થતાં દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં ૨૫,૦૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે

  • 8:09 pm July 28, 2023
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ,

બનાસ નદીના વહેણ વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા પાટણ જિલ્લા વહીવટી તંત્રની સૂચના

નદીના વહેણ વિસ્તારમાં ભરાયેલ પાણીમાં ન્હાવા જવું, સેલ્ફી, રીલ બનાવવા જવું જીવ માટે જોખમીઃ બનાસ નદીમાં ન્હાવા નહીં જવા તંત્રની અપીલ 

ચાલુ વર્ષે ઉપરવાસના જિલ્લાઓમાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ગઇકાલે રાત્રે માઉન્ટ આબુ ઉપરવાસમાં ૧૬૦ મી.મી. ભારે વરસાદ થતાં આજે તા.૨૮-૦૭-૨૦૨૩ના રોજ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો ૫૯૯.૩૫ ફૂટ એટલે કે ડેમ ૮૬.૬૨ ટકાથી વધુ ભરાયેલ છે. 

ડેમની ફૂલ કેપેસીટી ૬૦૪ ફૂટની છે એટલે કે ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતા આજે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં ૨૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ દાંતીવાડા ડેમના ૬ દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ પાણીનો પ્રવાહ નદીમાં પાટણ જિલ્લાની હદથી 20 કિલો મીટર દૂર છે જે એક કે બે દિવસમાં પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાથી પ્રવેશ કરશે

પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે નદીકાંઠાના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે.બનાસ નદીના વહેણ વિસ્તારમાં ભરાયેલ પાણીમાં ન્હાવા જવું જીવ માટે જોખમી છે. બનાસ નદીમાં ન્હાવા નહીં જવા, પાણી જોવા નહિ જવા, તથા રીલ બનાવવા કે સેલ્ફી લેવા નહિ જવા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.