ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભાવનગર દ્વારા દુર્ઘટનાઓ ટાળવા સાવચેતીના આવશ્યક પગલા લેવા અનુરોધ

  • 9:35 pm January 11, 2024

 

મકર સંક્રાતિ પર્વ દરમિયાન સાવચેતીના પગલાઓ ભરવા આવશ્યક છે. આ પર્વમાં સાવધાની રાખી સુરક્ષિત રીતે પર્વની ઉજવણી થાય તે માટે પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખવી, રસ્તા પર ચાલ્યા જતાં હોય અને વાહનોની અવરજવર પર ધ્યાન ન હોય તેવા માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહેવું, પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પૂરતી ઉંચી હોય તે આવશ્યક છે આથી તે ઉંચાઇ પૂરતી છે કે કેમ તેની ખાતરી કરવી. ઉપરથી પસાર થતાં હોય તેવા વીજળીના તારથી દૂર રહેવું. અગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરવું. પતંગ ચગાવતા બાળકોના વાલીઓએ તેમના બાળકોની દેખરેખ રાખવી અને સમજદારી, સદભાવ, સાવચેતી યાદ રાખવા. સિન્થેટિક વસ્તુઓ અને પ્લાસ્ટિકના ઉપયોગથી બનેલ દોરીઓ કે ચાઈનીઝ દોરીઓનો ઉપયોગ ન કરવો, વીજળીના તાર પર કે સબસ્ટેશનમાં ફસાયેલા પતંગને પકડવા જવાના પ્રયત્નો કરવા નહીં, લુઝ કપડાં ન પહેરવા, પતંગ ચગાવતી વખતે માથે ટોપી પહેરવી, મકાનોના ગીચ વિસ્તારોમાં પતંગ ચગાવવા નહી, ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ના ચગાવવો, આકાશમાં પતંગ કપાઈ જાય તો મકાનોની છત ઉપરથી પતંગ લેવા દોડવું જોઇએ નહીં. થાંભલા કે મકાનની છત્ત પર ફસાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ન ફેંકવો. જિલ્લામાં પર્વ દરમિયાન કોઈ જગ્યાએ દુર્ઘટના બને તો ઇમરજન્સીના સમયમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (આપત્તિ વ્યવસ્થાપન) હેઠળ ઇમરજન્સી ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબરનો તાત્કાલિક સંપર્ક કરવો. હેલ્પ લાઈન નંબર ઇમરજન્સી ૧૦૮, ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર ૧૦૭૭ છે તેમ ભાવનગર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (આપત્તિ વ્યવસ્થાપન) દ્વારા જણાવ્યું છે.