અયોધ્યા માટે 5 નવી સ્પેશિયલ ટ્રેન શરૂ થશે,જોકે વડોદરાથી એકપણ નહીં ઉપડે: ભાવનગર, રાજકોટ, સુરત અને અમદાવાદને લાભ મળશે

  • 7:42 pm January 12, 2024
સિકંદર પઠાણ | વડોદરા

 

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજીની મૂર્તિની પુન પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આગામી સમયમાં અયોધ્યા જવા લોકોનો ધસારો જોવા મળશે. બીજી તરફ અત્યારથી લોકો દ્વારા બુકિંગ કરાવાતાં અયોધ્યાની તમામ ટ્રેન ફુલ થઈ ગઇ છે. આ સંજોગોમાં રેલવે દ્વારા ગુજરાત અને ઇન્દોરથી 5 ટ્રેન શરૂ કરવા જાહેરાત કરાઈ છે. જોકે આ ટ્રેનમાં એક પણ ટ્રેન વડોદરાથી ઊપડશે નહીં.

અમદાવાદથી જતી ટ્રેનમાં વડોદરાના મુસાફરને સમાવી શકાશે. રેલવે મંત્રીએ કરેલી જાહેરાત મુજબ 3 ફેબ્રુઆરીથી ઇન્દોર-અયોધ્યા, 9 ફેબ્રુઆરીથી ભાવનગર-અયોધ્યા, 10મીથી રાજકોટ-અયોધ્યા, અમદાવાદ-અયોધ્યા અને સુરત-અયોધ્યા ટ્રેન કાર્યરત થશે. આ ટ્રેન બીજા દિવસે પરત આવવા માટે મળી રહેશે. જોકે આ ટ્રેનનું બુકિંગ ક્યારથી શરૂ કરાશે તે અંગે જાહેરાત કરાઈ નથી તેમજ તેના સમયે અંગે જાણકારી અપાઈ નથી. આ સાથે વડોદરાના મુસાફરો માટે અને એકતા નગર પ્રવાસન સ્થળને પણ અયોધ્યા સાથે જોડાય અને વડોદરાથી ટ્રેન શરૂ થાય તેવી માગ ઊઠી છે.