કમોસમી વરસાદ કે ગ્લોબલ વૉર્મિંગની વિપરીત પરિસ્થિતિમાં પણ પ્રાકૃતિક ખેતી ટકાઉ ખેતી છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

  • 9:16 pm March 3, 2024
જયરાજ ડવ

 

બરવાળા તાલુકાના સાળંગપુર સ્થિત બી.એ.પી. એસ. યજ્ઞપુરષ વાડી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યજ્ઞપુરષ પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે “પ્રમુખસ્વામી મહારાજ પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર"નો ઉદ્ઘાટન તથા “પ્રાકૃતિક કૃષિનો તાલીમ કાર્યક્રમ" યોજાયો હતો.

કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કરા પડવાની પરિસ્થિતિમાં પણ પ્રાકૃતિક ખેતી ટકાઉ ખેતી છે. ગ્લોબલ વૉર્મિંગની વિપરીત પરિસ્થિતિમાં પણ પ્રાકૃતિક ખેતીના પાકને ઓછી અસર થાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, હવે પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયની આવશ્યકતા બની રહી છે.

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. ધરતી બિનઉપજાઉ અને ઝેરીલી બની છે. હવા અને પાણી પ્રદૂષિત થયા છે. મોટાભાગના વ્યક્તિઓ કોઈને કોઈ ગંભીર રોગ સાથે જીવી રહ્યા છે. માનવ સમાજ સામે ગંભીર પડકારો સર્જાયા છે ત્યારે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર સમાધાન છે એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું.

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનના સાળંગપુર મંદિર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિસરની તાલીમ આપવા માટે કાયમી ધોરણે 'મહંતમ્' પ્રાકૃતિક કૃષિ સંશોધન અને તાલીમ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવનથી વર્ચ્યુઅલી જોડાઈને આ કેન્દ્રનો શુભારંભ કરાવતાં પ્રથમ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા જનકલ્યાણના અનેક પ્રકલ્પો સેવારત છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિના વિકાસ માટેનો આ પ્રયત્ન વિશેષ કલ્યાણકારી સિદ્ધ થશે. ખેડૂતો માટે ભોજન અને આવાસની વ્યવસ્થા ઉપરાંત ગૌશાળા અને ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી સુસજ્જ પ્રાકૃતિક ફાર્મ તથા સંતોના આધુનિક ટેકનોલોજી પ્રત્યેના સર્જનાત્મક અભિગમને કારણે સાળંગપુર આ 'મહંતમ્' પ્રાકૃતિક કૃષિ સંશોધન અને તાલીમ કેન્દ્ર ખેડૂતોને પ્રેરણા અને પ્રોત્સાહન આપનારું મોડેલ તાલીમ કેન્દ્ર બની રહેશે. તેમણે આ માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો આભાર માનીને અભિનંદન પાઠવ્યા હતા.

આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર કૃષિ નથી; પર્યાવરણની રક્ષા, ગાયમાતાની સેવા અને સંવર્ધન, લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા, રાસાયણિક ખાતર અને દવાઓ પાછળ વેડફાતા ખેડૂતોના અને દેશના નાણાંની બચત અને જળ સંચયનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી પદ્ધતિ છે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક કૃષિ માટે હંમેશા પ્રેરિત કરી રહ્યા છે, સરકારના અથાગ પ્રયાસોથી હવે દેશમાં અને રાજ્યમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ માટે પ્રોત્સાહક વાતાવરણ સર્જાઈ રહ્યું છે ત્યારે ગુજરાતને ઝેરમુક્ત પ્રદેશ બનાવવાની દિશામાં સહિયારો પુરુષાર્થ કરીએ.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાણીયાએ જણાવ્યું કે, રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન થકી બોટાદ જિલ્લાના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે, હજુ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આપણે એવું માનીએ છીએ કે વ્યસન કરે એને જ કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય છે એવું નથી પરંતુ રાસાયણિક ખાતર અને દવાઓના લીધે પણ બીમારીઓ વધી છે તેમ જણાવી તેમણે તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું. 

પૂ.જ્ઞાનેશ્વર સ્વામીજીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગ થકી ગંભીર પરિણામો મળી રહ્યા છે ત્યારે જાગ્યા ત્યારથી સવાર એમ સમજીને રાસાયણિક ખેતીને તિલાંજલિ આપવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાતના આત્મા વિભાગના ડાયરેક્ટર પી.એસ. રબારી, પ્રાકૃતિક અભિયાનના સ્ટેટ કો.ઓર્ડીનેટર પ્રફુલભાઈ સેંજલીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. તથા બરવાળા એ.પી.એમ.સી.ના ચેરમેન ભાવિકભાઈ ખાચરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે જિલ્લા અધિકારી અક્ષય બુડાણીયા સહિતના મહાનુભાવોના હસ્તે બોટાદ જિલ્લા આત્મા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું વર્ષ-૨૦૨૪નું પ્રાકૃતિક કૃષિના કેલેન્ડરનુ વિમોચન કરવામાં આવ્યું હતું.

પ્રારંભમાં નાયબ બાગાયત નિયામક  જે.ડી.વાળાએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં બોટાદ જિલ્લાના આત્મા વિભાગના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. જે. એચ. કાહોદરિયાએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખેતી મદદનીશઈશ્વરભાઈ બાવળીયાએ કર્યું હતું. 

કાર્યક્રમમાં જિલ્લા પશુપાલન અધિકારીઆર.જી.માળી, બી.એ.પી.એસ.યજ્ઞપુરૂષ વાડીના વ્યવસ્થાપક સંતશ્રી પૂ.બ્રહ્મચિંતનદાસ સ્વામીજી, શ્રી પૂ.દિવ્યનિધિદાસ સ્વામીજી, ઉપરાંત આત્મા, ખેતીવાડી અને બાગાયત ખાતાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત પ્રાકૃતિક કૃષિના જિલ્લા અને તાલુકા સંયોજકશ્રી ઉપરાંત ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.