ગઢડાના ઈતરીયા ડેમમાં સૌની યોજના-2 મારફતે પાણી ભરવા માંગણી

  • 8:15 pm March 14, 2024
હેમેન્દ્ર મોદી

 

આજે ખેડૂતો મામલતદારને આવેદનપત્ર આપશે 

માંગણી ના સંતોષાય તો મતદાન બહિષ્કારની ચિમકી 

ગઢડા(સ્વામીના) શહેર અને તાલુકાના ગોરડકા, ઉગામેડી, અડતાળા, લાખણકા, તતાણા ગામના કમાન્ડ એરીયામા આવતા ખેડૂતો દ્વારા વર્તમાન સમયમાં ઉનાળો નજીક હોવાથી અને ખેતી માટે પાણીનો અભાવ હોવાથી ખેતીના પાકને જીવતદાન આપવા માટે સૌની યોજના-૨ મારફતે ડેમ ભરવા માંગણી ઉઠવા પામી છે.

આ સિંચાઈનો કમાન્ડ એરીયા આશરે 1200 હેકટર ચો.મી જેટલો હોઈ તેને ઘેલો, ઈતરીયા, ઘેલા સોમનાથ, ઘેલો લીંબાળી ડેમમાથી કાયમી ધોરણે સિંચાઈના પાણીની સગવડ મળી રહેતી હતી. 
પરંતુ તાજેતરના ઓછા વરસાદના કારણે ઉપર વિસ્તારમાં આવેલા ત્રણેય ડેમો ખાલી રહેલા હોઈ ત્રણેય ડેમની ઉપર સૌની યોજના લીંક-2 પાણીની પાઈપ લાઈન પસાર થતી હોવાથી ખાલી ડેમ ભરવા માટે અવાર નવાર સરકાર સમક્ષ રૂબરૂ તેમજ લેખીતમાં રજુઆતો કરવામાં આવી હોવા છતા અત્યાર સુધીમા ઉપરના ત્રણેય ડેમો ભરવામા આવેલ નથી. જેના કારણે આ વિસ્તારમાં ઘઉં-ચણા-જીરૂ ધાસ વિગેરેનું વાવેતર હોવાથી અને કુવાના તળ પણ ખાલી થઈ જવાથી ઉભો પાક પણ સુકાઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતો અને ખેતી માટે એકમાત્ર જીવતદાન આપી શકે તેવી સૌની યોજના લીંક-2 મારફતે ખંભાળા સંપ માંથી તાત્કાલીક ધોરણે ઈતરીયા ડેમ ભરવામાં આવે તેવી પ્રબળ માંગ અને જરૂરીયાત ઉઠવા પામી છે.
ગઢડા તાલુકાના ઉપરોક્ત જણાવેલ ગામોના જમીન વિસ્તાર ના ખેડુતોના પાકો જળવાઈ રહે અને ખેડૂત પરિવારના ભરણ પોષણ પણ સારી રીતે થઈ શકે, માલ-ઢોર, પશુઓ માટે પણ ઉભી થનારી કપરી પરિસ્થિતિ અટકાવવા અને પાણી વગર ખેડૂતોની મહેનત એળે જવાથી નુકશાન થવાની શક્યતા નિવારી શકાય માટે તાત્કાલીક ધોરણ ત્રણેય ડેમોમા પાણી નાખવા માંગણી કરવામાં આવી છે. આ મુદ્દે ખેડૂતો તરફથી સરકાર સુધી રજૂઆત પહોંચાડવા માટે ગઢડા મામલતદાર સમક્ષ તા.14-3-2024, ગુરૂવારે સવારે 10-00 કલાકે બોટાદ રોડ ખાતે એકત્રિત થઈને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવનાર હોવાનુ અને તાત્કાલિક અસરથી ખેડૂતોની જરૂરી માંગણી ના સ્વીકારાય તો આગામી લોક સભાની ચુંટણીમાં ખેડુતો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામા આવનાર હોવાનુ ખેડુત અગ્રણીઓ અનિરૂદ્ધભાઈ શેખવા, ડાયાભાઇ પટેલ, દિનેશભાઇ ભીંગરાડીયા વિગેરે તરફથી જણાવવામાં આવ્યું હતુ.