શૂલપાણેશ્વર જંગલ સફારી પાર્કનું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે દેડિયાપાડા ખાતેથી લોકાર્પણ કરાયું

  • 9:20 pm March 15, 2024
વસિમ મેમણ

 

 

સ્થાનિક વન મંડળીઓ દ્વારા સંચાલિત થનારી ઓપન જીપ્સીઓને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી

જંગલ સફારી શુલપાણેશ્વરનો લોકાર્પણ કાર્યક્રમ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં દેડીયાપાડા ખાતે યોજાયો હતો. આ વેળાએ પ્રવાસીઓને જંગલ સફારીની સફર માણવા અર્થે ટિકિટ વિન્ડો અને ત્રણ જેટલી જીપ્સીને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી. 

આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, વન અને આદિવાસી એક સિક્કાની બે બાજુ છે. આ વન સંપદાઓના સંરક્ષણ સાથે સ્થાનિકોને રોજગારી કેવી રીતે પુરી પાડી શકાય તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ પ્રકલ્પોનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં રહેતા લોકોને જંગલમાં ફરવું ગમે છે. તેઓ આ સફારીમાં ફરવા માટે આવશે તો સ્થાનિક આદિવાસી લોકોને તેનો લાભ મળવાનો છે. 

વધુમાં સાંસદશ્રીએ જણાવ્યું કે, જંગલ સફારીના નિર્માણ થકી સ્થાનિક આદિવાસી લોકોની આજીવિકામાં વધારો થશે. PA અને વન્યજીવન પર પ્રવાસીઓની નકારાત્મક અસરને ઘટાડવા સાથે સ્થાનિક સમુદાયોને આર્થિક લાભો આપવા માટે મહત્ત્વની ભૂમિકા પૂરી પાડશે. પ્રકૃતિ અને તેના સંસાધનોના વિવિધ ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને શૂલપાણેશ્વર અભયારણ્યની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ અને તેના સંરક્ષણ વિશે લોકોને શિક્ષિત કરીને આ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં આવશે. સ્થાનિક લોકો સાથે સંકળાયેલી આ પ્રવૃત્તિઓ તેમની આજીવિકાની તકોને વધારશે અને શૂલપાણેશ્વર ઇકોસિસ્ટમનું રક્ષણ અને સંરક્ષણ કરવામાં મદદ કરશે તેમ ઉમેર્યું હતું. 

આ વેળાએ પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે પ્રાસંગિક ઉદ્બોધન કરી પ્રવાસન અને જંગલના વિકાસ સાથે સ્થાનિકોને ઉપલબ્ધ થનારી તકો અંગે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. 

જંગલ સફારીમાં પ્રવાસન માર્ગોની વાત કરવામાં આવે તો આ રૂટ મોઝદાથી ચોપડી ધારા સુધીનો જે 20 કિમીનો હશે, મોઝદાથી દેવ મોગરાથી મોઝદા 30 કિમી અને બેડા ચાર રસ્તાથી તેલિયાઘાટ 10 કિમી, આ માર્ગનો સમાવેશ થાય છે. તેના માટે મોઝદા અને ફુલસરથી પ્રવેશ અને દેડિયાપાડાથી ટિકિટ કલેક્શન મળી રહેશે.