મનસુખ વસાવાના ચૈતર વસાવા પર પ્રહાર:જંબુસરથી કહ્યું- 'રોહિંગ્યા લોકો ચૈતર સાથે ફરે છે, મારી પાસે ફોટોગ્રાફી છે, આમનાથી સાવધાન રહેજો'

  • 9:31 pm March 15, 2024
રિઝવાન સોડાવાલા

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપના ભરૂચ બેઠકના લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પર આકરા પ્રહારો કરી ચૈતર વસાવા સાથે રોહિંગયા ફરતા હોવાનું નિવેદન આપતા રાજકારણ ગરમાયુ છે.

ઇન્ડિયા અલાયન્સના ગઠબંધનમાં જ્યારથી ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા અને ભાજપના ઉમેદવાર તરીકે સતત સાતમી વખતે મનસુખ વસાવાના નામની જાહેરાત થયા બાદ બંને વસાવા બંધુઓ એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લાના અમોદ ખાતે બહૂચર માતાજીના મંદિરે દર્શન કરી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. અહીંયા યોજાયેલા કાર્યક્રમમાં મનસુખ વસાવા પોતાના ભાષણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં મનસુખ વસાવાએ ચૈતર વસાવાને રોહિંગયા કહેતા રાજકારણ ગરમાયુ છે.
મનસુખ વસાવાએ જણાવ્યું કે, મોદી સાહેબ સત્તા ન હતા ત્યારે શું હતું બધાને ખબર છે, આપણી સરહદો પણ સલામત ન હતી. પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ આ બધી સરહદો પરથી ઘૂસ પેઠીયાઓ આપણા દેશમાં ઘૂસી જતા હતા. પશ્ચિમ બંગાળમાંથી પણ લોકો ઘૂસી આવતા હતા. આ રોહિંગયા લોકો ચૈતર સાથે ફરે છે મારા પાસે ફોટોગ્રાફી છે. પશ્ચિમ બંગાળમાંથી દિલ્હી, પંજાબ અને ત્યાંથી ગુજરાત અને ત્યાથી ભરૂચમાં ફરે છે. ત્યાંથી વાલીયા, ડેડીયાપાડા અને ઝઘડીયા અને જંબુસર પણ હોય આપણને શું ખબર પડે એટલે ખરેખર આ લોકોથી સાવધાન રહેજો.