ભરૂચ જિલ્લામાં 80 ટકા સ્થાનિક રોજગાર કાયદાની રચના કરવા રાજયપાલ, મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ

  • 10:02 pm March 18, 2024
નઈમ દિવાન

 

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના 151 વિધાનસભામાં અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર કમલેશ મઢીવાલાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ભરૂચ જિલ્લામાં 80% સ્થાનિક રોજગાર કાયદોની રચના કરવાની માંગ કરી છે.

વાગરા તાલુકામાં વિધાનસભાની ચુંટણીમાં વાગરા વિધાનસભામાં અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર એડવોકેટ
કમલેશ મઢીવાલાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેખિતમાં રજુઆતો કરી તેનો અમલ કરવાની માગ કરી છે.જેમાં જણાવ્યા મુજબ,ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રીતે ઘણો વિકાસ કરી રહેલો છે. રાજ્યમાં 182 GIDC આવેલી છે અને 7 જેટલા SEZ (Special Economic Zone) આવેલા છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા 13 જિલ્લાઓમાં બીજી 21  નવી GIDC ની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઘણા પ્રોજેક્ટો ગુજરાતમાં આવી રહેલા છે. ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રીતે ઘણો વિકસી રહેલું રાજ્ય છે.ઔદ્યોગિક મૂડી રોકાણમાં ગુજરાત રાજ્ય દેશમાં અવ્વલ છે.ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે દેશભરમાં ગુજરાત રાજ્ય 21% હિસ્સા સાથે પ્રથમ સ્થાને છે.
જેમાં પણ ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, વિલાયત, શાયખા GIDC, SEZ અને PCPIR વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાંથી સરકારને અઢળક કમાણી થઈ રહી છે. ભારત ભરમાં એક્સપોર્ટમાં ભરૂચ જિલ્લો પ્રથમ આવ્યો છે.પરંતુ અહીંયાના સ્થાનિક લોકોની રોજગારીનું શુ..?
આ વિસ્તારના લોકોએ જ્યારે જમીન આપી ત્યારે જ અહીંયા મોટા મોટા ઉદ્યોગ સ્થપાઈ શકયા છે.પરંતુ આ ઉધોગોના કારણે માત્રને માત્ર ઉદ્યોગપતિઓનો કંપનીઓનો તો પ્રચંડ વિકાસ થયેલો છે,જ્યારે આ લોકોને જમીન આપેલા લોકોની હાલત એવી ને એવી જ છે.આ લોકોએ લેન્ડ લુઝરોને નોકરી આપવાનું વચન આપવામાં આવેલું હતું, તે વચન સંપૂર્ણપણે પાળવામાં આવ્યું નથી.જેથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે 
80% સ્થાનિક રોજગાર કાયદોની અમલવારી કરાવવા માટે ભરૂચ જિલ્લામાં જિલ્લા ટ્રીબ્યુનલની સ્થાપના કરવાની માગ કરાઈ છે.

વિધાનસભામાં વચનો આપવામાં આવ્યા હતા 

વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણી વખતે 80% સ્થાનિક રોજગાર આપવા માટેનો પ્રચાર કરવામાં આવેલો હતો, પણ ભાજપ સરકાર બન્યા પછી પણ 80% સ્થાનિક નોકરીઓના વચનનું આજદિન સુધી કદીપણ પાલન થઈ રહેલું નથી. સપ્ટેમ્બર 2018 માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તરફથી 80% સ્થાનિક રોજગાર આપવાનો અને 80% સ્થાનિક રોજગાર માટેનો કાયદો બનાવવાની જાહેરમાં નિવેદન આપ્યું હતું. પણ તે મુખ્યમંત્રીના નિવેદન મુજબ પણ કોઈ કાર્યવાહી સુધ્ધાં થઈ હોય તેવું ક્યાંય પણ બન્યું હોય તેવું કોઈ સરકારી રેકર્ડ પર હોય એવું લાગતું નથી અને તે સ્થાનિક લોકો સાથે અન્યાય કર્યા બરાબર છે.

નર્મદા નદીનું અમારા હક્કનું પાણી ઉદ્યોગકારો વાપરે છે

નર્મદા નદીનું પાણી હોય કે નહેરોનું પાણી હોય કે સરદાર સરોવર ડેમનું પાણી હોય, આ વિસ્તારનું અમારા હક્કના પાણીનો મોટાભાગનો હિસ્સો ઉદ્યોગપતિઓ વાપરી રહેલા છે, પણ અમારા સ્થાનિક વિસ્તારના લોકોને વાપરવાનું તો શું ખેતી માટેનું કે પીવા માટેનું પણ પૂરતું પાણી મળતું નથી. અમારા વિસ્તારની નહેરો ખાલીખમ છે. આ ઉદ્યોગોને કારણે જ અમારો પાણીનો મોટા ભાગનો હિસ્સો છીનવાઈ જઈ રહ્યો છે, પણ તેમ છતાં સ્થાનિક લોકોનો નોકરી પર અધિકાર નથી મળતો.