વડોદરા-કરજણ હાઇવે પર બસમાં આગ લાગતા બળીને ખાખ, ડ્રાઇવરની સતર્કતાથી 20 મુસાફરોના જીવ બચ્યા

  • 10:19 pm March 18, 2024
સિકંદર પઠાણ

 

 

વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર-48 પર ટોલ પ્લાઝા પાસે વહેલી સવારે 20 મુસાફર ભરેલી લક્ઝરી બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. લક્ઝરી બસના ચાલકની સમય સૂચકતાથી પુણેથી અમદાવાદ જતી બસના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે કાગળની જેમ ભડ-ભડ સળગીને આખી બસ ખાખ થઈ ગઈ હતી. નોંધનીય બાબત એ છે કે હાઇવે ઉપરથી પસાર થઇ રહેલા વાહનચાલકો સળગી રહેલી બસની બાજુમાંથી પોતાનાં વાહનો પસાર કરી જીવ જોખમમાં મૂક્યો હતો. કરજણ ફાયરબ્રિગેડે બસ ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જોકે આગ કાબૂમાં આવે પહેલાં એ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઇ હતી.વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઇવે નંબર-48 ઉપર ટોલનાકા પાસે વહેલી પુણેથી મુસાફરો લઇને અમદાવાદ તરફ જઇ રહેલી લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી. બસમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થતાં જ બસચાલકે બસને રોડની બાજુમાં લઇ જઇ પાર્ક કરી દીધી હતી. બસમાં સવાર તમામ 20 મુસાફરને સાવચેતીપૂર્વક ઉતારી લીધા હતા. બસના તમામ મુસાફરો બસમાંથી ઊતરી ગયા બાદ આગે પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભડ-ભડ સળગી ઊઠેલી બસના કારણે હાઇવે ઉપર ટ્રાફિક-વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. આ બનાવની જાણ તંત્રને થતાં સ્થળ પર પહોંચી ગયું હતું, પરંતુ તંત્ર દ્વારા રસ્તો બંધ ન કરાતાં કેટલાક વાહનચાલકો જોખમ ખેડીને રોડની બાજુમાં ભડ-ભડ સળગી રહેલી બસની બાજુમાંથી પસાર થયા હતા.લક્ઝરી બસમાં લાગેલી આગની જાણ કરજણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં લાશ્કરો દોડી આવ્યા હતા. બસમાં લાગેલી આગ ઉપર પાણીમારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે આગ સંપૂર્ણ કાબૂમાં આવે એ પહેલાં બસ પૂરેપૂરી બળીને ખાખ થઈ ગઇ હતી. આ બનાવ અંગે કરજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.