સુરતમાં જીવતો વીજતાર તૂટીને મહિલાના ગળામાં વીંટળાઇ જતાં મોત
- 6:55 pm April 5, 2021
સુરત શહેરમાં અડાજણના ભાઠા ગામમાં જીઈબીનો જીવતો વીજતાર તૂટીને મહિલાના ગળામાં વીંટળાઈ જતાં શ્રમજીવી મહિલા મોતને ભેટી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘરના વાડામાં કામ કરતી ભાવના નામની મહિલા ઉપર જીવંત વીજતાર પડતાં પતિ સહિતના લોકો જીવતી સળગતી હાલતમાં જાેતા રહ્યા અને મહિલા બચાવો બચાવોની બૂમો પાડતી રહી હતી. જાેકે ચાલુ વીજલાઈનને કારણે કોઈ બચાવી શક્યું ન હતું. ઘટનાના એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરી મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૦-૨૫ વર્ષ જૂનો વીજતાર ૩-૪ વાર તૂટી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કનુભાઈ રાઠોડ (મૃતક મહિલાના પતિ)એ જણાવ્યું હતું કે મજૂરીકામ કરી ત્રણ-ત્રણ દીકરી સાથે પેટિયું ભરતા હતા. ભાવના આજે સવારે રોજિંદા કામકાજ માટે વાડામાં ગઈ હતી. અચાનક જીઈબીનોનો લટકતો જીવંત વીજતાર તેની ઉપર તૂટી પડ્યો હતો. ગળાના ભાગે લપેટાઈ જતાં જમીન પર જ જીવતી સળગી ગઈ હતી. અમે જાેતા રહ્યા અને ભાવના બચાવો બચાવોની બૂમો પાડતી રહી, આખું ફળિયું ભેગું થઈ ગયું, પણ કોઈ ભાવનાને બચાવી ન શક્યું.
કનુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ૩૦ મિનિટ બાદ જીઈબી અને પોલીસ આવી હતી. એક કલાક બાદ ચાલુ વીજલાઇન બંધ કરાતાં ભાવનાનો સળગેલો મૃતદેહ બહાર કઢાયો હતો. ત્યાર બાદ પોલીસે ઇન્કવેસ્ટ ભર્યું અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.