અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત બાળકના મોતથી ખળભળાટ
- 7:06 pm April 6, 2021
અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. કોરોનાની બીજી લહેરમાં નાની ઉંમરના લોકો પણ આવી રહ્યા છે. સુરતમાં તો કોરોનાનો ચેપ લાગ્યા બાદ ૧૩ વર્ષના એક છોકરાનું મોત પણ થઈ ચૂક્યું છે, જ્યારે અમદાવાદ આજે વધુ એક કોરોનાગ્રસ્ત બાળકનું મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા ૧૫ દિવસમાં ૪ બાળકો મોતને ભેટ્યા છે. આ બાળકોને અગાઉથી જ ગંબીર બીમારીથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે સપ્તાહમાં ચાર કોરોના પોઝિટિવ બાળકોનાં મોત થયાં છે. કોરોનાથી સંક્રમિત થયેલા બાળકો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. કોરોના બાળકોમાં ગંભીર અસર પેદા કરે છે. રિપોર્ટ મુજબ છેલ્લા એક સપ્તાહથી સિવિલ હોસ્પિટલમાં ૧૦ બાળકો સારવાર હેઠળ હતાં અને તેમાંથી ૨ બાળકોની હાલત ગંભીર હતી.
કોરોનાની બીજી લહેરમાં તેની ઝપેટમાં આવનારા મોટાભાગના લોકો ૪૫-૫૦થી ઓછી વયના છે. સુરતમાં ૧૩ વર્ષના એક છોકરાનું મોત પણ થઈ ચૂક્યું છે, જે ખરેખર ચોંકાવનારી બાબત છે. જે લોકો કામકાજ માટે ઘરની બહાર રોજેરોજ જઈ રહ્યા છે તેમને ચેપ લાગવાનું પ્રમાણ વધી રહ્યું છે. ઘણા કેસમાં પેશન્ટ ટેસ્ટ કરાવવામાં મોડું કરતો હોવાથી ચેપ અન્ય લોકોને પણ લાગી જાય છે, અને તેની પોતાની સ્થિતિ પણ ગંભીર બની જાય છે.