છત્તીસગઢઃ લાપતા જવાનનો ફોટો નક્સલવાદીઓએ સોશિયલ મીડિયા પર મુક્યો
- 7:14 pm April 7, 2021
છત્તીસગઢના બીજાપુરમાં નકસલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણ બાદ સીઆરપીએફનો એક જવાન લાપતા બન્યો હતો.આ જવાન નક્સલીઓના કબ્જામાં હોવાનુ કહેવાય છે અને હવે આ શંકા વધારે મજબૂત બની છે.
કારણકે નક્સલીઓએ લાપતા જવાનની સોશિયલ મીડિયા પર એક તસવીર અપલોડ કરી છે. આ જવાનને પાછો લાવવા માટે સુરક્ષાદળો યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે. લાપતા જવાનની તસવીર રિલિઝ થઈ તે પહેલા બીજાપુરના એક પત્રકારે દાવો કર્યો હતો કે, નક્સલીઓએ બે વખત મને ફોન કર્યો હતો.
તેમણે કહ્યુ હતુ કે, સીઆરપીએફનો જવાન અમારા કબ્જામાં છે. તેને ગોળી વાગી છે અને આ જવાન ઘાયલ છે અને તેને બે દિવસમાં છોડી મુકીશું. નક્લસીઓએ તેનો વિડિયો પણ બહુ જલ્દી રિલિઝ કરવા માટે કહ્યુ છે.
દરમિયાન સુરક્ષાદળો જવાનને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ માટે સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. બીજી તરફ નક્સલીઓએ પત્ર લખીને સરકાર સાથે વાટાઘાટો કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ અથડામણમાં ૨૨ જવાનો શહીદ થયા બાદ દેશ હચમચી ગયો હતો.નક્સલવાદીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી જાેર પકડી રહી છે.