ઈરાની કર્નલની હત્યા કરીને મોસાદેહુમલાનો બદલો લીધો

  • 5:44 pm May 25, 2022

સૈયદ જ હુમલાનો માસ્ટર માઈન્ડ હોવાનું મનાતું હતું૨૦૧૨માં ઈઝરાયેલના ડિપ્લોમેટની કાર પર બોમ્બ વડે હુમલો કરાયો હતો જેમાં ડિપ્લોમેટના પત્ની ઘાયલ થયા હતા

દુનિયાભરમાં પોતાના પરાક્રમોના કારણે પંકાયેલી ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદે ૨૦૧૨માં નવી દિલ્હીમાં પોતાના ડિપ્લોમેટ પર થયેલા હુમલાનો બદલો લઈ લીધો છે.

ઈઝરાયેલી મીડિયાના કહેવા પ્રમાણે ઈરાનની રાજધાની તહેરાનમાં ઈરાની આર્મીના કર્નલ હસન સૈયદની હત્યા થઈ ગઈ છે. સૈયદ જ ડિપ્લોમેટ પરના હુમલાનો માસ્ટર માઈન્ડ હોવાનુ મનાતુ હતુ. મોસાદે જ આ હત્યાને અંજામ આપ્યો હોવાનુ કહેવાઈ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૨માં ઈઝરાયેલના ડિપ્લોમેટની કાર પર બોમ્બ વડે હુમલો કરાયો હતો. આ ઘટનામાં ડિપ્લોમેટના પત્ની ઘાયલ થયા હતા. તેના એક દિવસ બાદ કર્નલ હસને થાઈલેન્ડમાં પણ આ જ પ્રકારનો હુમલો કરાવ્યો હોવાનુ મનાતુ હતુ.

દરમિયાન ઈરાને કર્નલના મોતનો બદલો લેવા માટે પ્રતિજ્ઞા લીધી છે. જાેકે ઈરાને આ માટે સીધી રીતે ઈઝરાયેલને હજી સુધી જવાબદાર ઠેરવ્યુ નથી.

ઈરાનને હજી સુધી આ હત્યાને અંજામ કોણે આપ્યો તેની ખબર પડી નથી. કર્નલ હસનને તેમના ઘરની બહાર અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હતી અને મોટરસાયકલ પર બેસીને ફરાર થઈ ગયા હતા.

દરમિયાન ઈઝરાયેલે આ હત્યા બાદ દુનિયાભરની પોતાની એમ્બેસીઓને એલર્ટ કરી દીધી છે. તેને ડર છે કે, ઈરાન જવાબી હુમલો કરી શકે છે.

આ પહેલા મોસાદે ૨૦૨૦માં ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિક મોહસેન ફખરિજાદેહની પણ હત્યા કરી નાંખી હતી.