10 વર્ષ પૂર્વે થયેલી બેવડી હત્યાના કેસમાં 5ને આજીવન કેદ

  • 9:57 pm July 24, 2023
તસ્વીર | ધવલ વાજા, ભાવનગર

 

ભાવનગર,

ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં દસ વર્ષ પહેલાં ઘર પાસે રોડ પર બમ્પ બનાવવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં આરોપીઓએ બે શખ્સો પર તલવાર છરી જેવા તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું આ કેસ ભાવનગર કોર્ટમાં ચાલતા કોર્ટે પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

આ સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વિદ્યાનગર વિસ્તારમાં રહેતા વિનોદ જેન્તિ મકવાણાને ઘર પાસે આવેલ રોડ પર બમ્પ મુકાવવાની બાબતને લઈને આરોપી રાજુ પોપટ ઉર્ફે જીવા રાઠોડ સાથે ત્રણથી ચાર વખત ઝઘડા થયા હતાં, દરમ્યાન ગત તા.16-9-2013 ના રોજ બપોરના સુમારે વિનોદ તેના પિતા જેન્તિ પોપટ મકવાણા હાર્દિક જેન્તિ મકવાણા, રમેશ પોપટ મકવાણા સિટી મામલતદાર કચેરી એ જતાં હતાં, ત્યારે પૂર્વ આયોજન મુજબ આરોપી રાજુ પોપટ, જીતેશ ઉર્ફે જીતુ પોપટ, જેન્તિ ઉર્ફે ગેમલ ચિથર મકવાણા, પ્રવિણ ઉર્ફે સાયમન્ડ પ્રતાપ ચૌહાણ, સંજય પ્રતાપ ચૌહાણ તથા રેખા જેન્તિ મકવાણા સહિત કુલ છ આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી વિનોદ સાથે રોડ પર બાઈક અથડાવી પછાડી દઈ હથિયારો સાથે તૂટી પડ્યાં હતાં, જેમાં હાર્દિક પિતા-પુત્રને બચાવવા પડતા આરોપીઓએ તેને પણ જીવલેણ માર માર્યો હતો, આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ વિનોદ તથા તેના પિતા જેન્તિભાઈનું સારવાર દરમ્યાન મોત થતાં આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયો હતો.

આ કેસ ભાવનગર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલતા સરકારી વકીલ ઉત્પલ દવેની તર્કબદ્ધ દલીલો દસ્તાવેજી પુરાવાઓ લેખિત-મૌખિક જુબાની સાથે સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જજ અંજારીયાએ મહિલા આરોપી સિવાય તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી, આ કેસમાં ફરીયાદી પક્ષે યશપાલસિંહ રાઠોડ, હિમાંશુ નાવડીયા, સંજય મકવાણા, યેશા દવે, સમીર લંગાળીયા, જૈનિસ દવે, સમર્થ શેઠ, આસિત ભટ્ટ સહિતના ધારાશાસ્ત્રીઓ રોકાયા હતા.