આંકલાવ તાલુકાના નારપુરાના ચાવડાપુરા વિસ્તારના રહીશો બિસ્માર રસ્તાથી ત્રાહિમામ

  • 9:46 pm July 26, 2023
અરવિંદસિંહ પઢિયાર

 

 

આંકલાવ તાલુકા માં આવેલ નારપુરા ગામનાં ચાવડાપુરા વિસ્તારનાં રહીશો કેટલાય સમયથી બિસ્માર કાદવ કીચડ રસ્તાને કારણે હેરાન પરેશાન છતાં પણ રસ્તાનાં પ્રશ્નનાં નિરાકરણને લઈ કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી ન હોવાથી ત્યાંથી અવર જવર કરતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં આશરે 200થી વધારે ખેડૂતો પોતાના ખેતરમાં રહે છે તથા આ રસ્તા પરથી અવરજવર કરવાની હોય અથવા તો પોતાના ઘરેથી બહારગામ જવાનું હોય તો પણ આવા કાદવ વાળા રસ્તામાંથી જ પસાર થવું પડે છે તથા જો કોઈ બીમાર હાલતમાં હોય તો પણ જોળી બનાવીને દર્દીને સારવાર અંગે લઈ જવામાં આવે છે તથા ઘાસચારો લાવવા માટે પણ આ રસ્તાથી આવવાનું હોય છે તથા સ્કૂલે જતા બાળકોને રસ્તા માં ઢીચણ સમા પાણી ભરાય જતા સ્કૂલે જવામાં પણ ભારે હાલાકી વેઠવી પડે છે  ઘણીવાર તો નાના બાળકો આ કાદવ કિચડમાં પડી પણ જાય છે તથા પોતાના કપડા ગંદા પણ થઈ જાય છે. આ રસ્તો બનાવવા માટે તંત્રને ઘણીવાર સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્ર સાવ આળસુ બની પોતાની ઘોર બેદરકારી દાખવી રહ્યું હોય તેવું સ્પષ્ટ નજરે જોવાં મળી રહ્યું છે.