સુરત સાયબર ક્રાઇમે આરોપી પાસેથી રૂપિયા 32. 40 લાખ પરત મેળવ્યા, દિલ્લીથી ઝડપાયા ઠગ..

  • 6:52 pm March 17, 2023
રિપોર્ટર- એજાજ શેખ


પીપલોદ વિસ્તારના એક આધેડને રૂપિયા 50 લાખની લોન આપવાના બહાને ઠગીને 6 ભેજાબાજોએ રૂપિયા 32. 40 લાખ પડાવી લીધા હતા. જોકે સુરત સાયબર ક્રાઇમે આ સાયબર ગઠિયાઓને દિલ્લીથી ઝડપીને સાયબર ફ્રોડનો ભોગ બનેલા વ્યક્તિના નાણા પરત અપાવ્યા હતા.

આજના ડિજિટલ યુગમાં વ્યક્તિઓ સરળતાથી સાયબર ફ્રોડનો ભોગ બની જાય છે અને નાણા ગુમાવી બેસે છે. આવી જ ઘટના સુરતમાં બની બતી. મૂળ ઓરિસ્સાના કુમારપુર ગામના વતની અને હાલમાં સુરતમાં પીપલોદ લકેવ્યૂ ગાર્ડન પાસે પ્રગતિ નગરમાં રહેતા 53 વર્ષીય બ્રિજકિશોર બ્રહ્માનંદ દાસને તારીખ 15-1 2019થી 06-03-2020ના સમયગાળા દરમિયાન ગુરૂકળુ જયોતિષ સંસ્થામાંથી રૂપિયા 50 લાખની વગર વ્યાજની લોન લેવા માટે ફોન કોલ આવ્યો હતો. આ ફોન કોલ દીપક શાસ્ત્રી, રઘુનંદન આંચળ, નારાયણ જ્યોતિષ, ગોપાલ શાસ્ત્રી, મનોહર શાસ્ત્રી અને રવિ નામની ટોળકીએ કર્યો હતો.

આ વાતોમાં ભોળવાઇને બ્રિજકિશોર બ્રહ્માનંદ દાસે લોન લીધી હતી. જોકે આ ઠગ ટોળકીએ ગુરુકૂળ જ્યોતિષ સંસ્થાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવીને લોન ન આપીને છેતરપિંડી આચરી હતી. આ ઘટનાને પગલે બ્રિજ કિશોર બ્રહ્માનંદ દાસે 07-02-2021ના રોજ સુરત સાઇબર ક્રાઇમ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં સાઇબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી 6 આરોપીઓને પકડી પાડ્યા હતા.

પોલીસ તપાસમાં આરોપીઓની સાચી ઓળખ સામે આવી હતી. પોલીસ પૂછપરછમાં 6 આરોપીઓના નામ સામે આવ્યા હતા તે આ પ્રમાણે છે આરોપીઓના નામ મીન્ટુકુમાર ચંદ્રેશરાય, અભિષેકકુમાર દેવપૂજન રાય, અજિતકુમાર હરેન્દ્રપ્રસાદશ્વ, બિપુલકુમાર પુરેન્દ્ર પાંડે, શ્રીરામ બિહારી રાય, અને દિપકકુમાર શ્રીરામ સિંહ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેમના બે ઍકાઉન્ટમાંથી 32.40 લાખ ફ્રીઝ કર્યા હતા.આ અંગે કોર્ટ દ્વારા ભોગ બનનારે 100 ટકા રકમ પરત આપવાનો હુકમ કર્યો હતો. જેથી સુરત સાઇબર ક્રાઇમે 'તેરા તુજ કો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત પોલીસ કમિશનર અજયકુમાર તોમરના હસ્તે રૂપિયા 32.40 લાખનો ચેક બ્રિજ કિશોરને પરત આપવામાં આવ્યો હતો.

અગાઉ જાન્યુઆરી માસમાં સાયબર ક્રાઇમ પોલીસે વીમા કંપનીના નામે 77 લાખની છેતરપિંડી કરનાર આરોપીની દિલ્હીથી ધરપકડ કરી હતી. ફરિયાદીને વીમા કંપનીના પૈસા મળવાના હતા જ્યારે આરોપીએ વીમા લોકપાલ માંથી બોલું છું કહી વિમાના પૈસા ચુકવણી ચાર્જના નામે 77 લાખ પડાવી લીધા હતા. સુરતના પાલ વિસ્તારમાં રહેતા હીરા વેપારીએ વીમા કંપની પોલિસી પોતાના નામે ઉતારી હતી.